લેવીય ૧૧:૧-૨૩
૧
¶ યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
૨
“ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.
૩
¶ જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે.
૪
તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે.
૫
¶ સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે.
૬
અને સસલું: કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમારે માટે અશુદ્ધ છે.
૭
અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે.
૮
તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે.
૯
¶ જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.
૧૦
પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે.
૧૧
¶ કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે.
૧૨
પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે.
૧૩
¶ પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ,
૧૪
સમડી, દરેક પ્રકારના બાજ,
૧૫
દરેક પ્રકારના કાગડા,
૧૬
શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો.
૧૭
¶ ચીબરી, કરઢોક, ઘુવડ,
૧૮
રાજહંસ, ઢીંચ, ગીધ,
૧૯
બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા.
૨૦
¶ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે.
૨૧
તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો.
૨૨
અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો.
૨૩
પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે.
Settings