યર્મિયા ૫૧:૩૪-૪૪
૩૪
યરુશાલેમ કહે છે, ‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે તેણે મને ચૂસી લીધું છે, તેણે મને ખાલી પ્યાલાની જેમ એક બાજુએ ફગાવી દીધું છે. તે મને એક અજગરની જેમ આખે આખું ગળી ગયો છે, અમારી સંપત્તિથી તેણે પોતાનું પેટ ભર્યું છે અને અમારા પોતાના શહેરમાંથી અમને નસાડી મૂક્યા છે.’
૩૫
સિયોનના લોકો બોલી ઊઠશે, “અમારી પર કરેલાં દુષ્કૃત્યો બદલ બાબિલને સજા મળો! યરુશાલેમ કહેશે કે, અમારું જે લોહી વહેવડાવવામાં આવ્યું છે તેની પૂરી કિંમત ખાલદીઓને ચૂકવવા દો!”
૩૬
આથી યહોવાહ પોતાના લોકોને કહે છે, હું તમારો પક્ષ લઈશ અને તમારું વૈર વાળીશ. હું બાબિલની નદીને સૂકવી નાખીશ અને તેના ઝરણાને વહેતું બંધ કરી દઈશ.
૩૭
અને બાબિલના ઢગલા થશે. તે શિયાળવાંની બોડ થશે. તે વસ્તીહીન થઈને વિસ્મય તથા હાંસી ઉપજાવે તેવું થશે.
૩૮
બાબિલવાસીઓ બધા ભેગા થઈને જુવાન સિંહની જેમ ગર્જના કરે છે. સિંહના બચ્ચાની જેમ ઘૂરકાટ કરે છે.
૩૯
જ્યારે તેઓ તપી જઈને મસ્ત બનશે ત્યારે હું તેઓને માટે ઉજાણી કરીશ, જેમાં તેઓ મોજ કરે અને સદાની નિદ્રામાં પડે. તેઓ સદાને માટે ઊંઘી જશે અને ફરીથી કદી જાગશે નહિ, માટે હું તેઓને મગ્ન કરીશ એવું યહોવાહ કહે છે.
૪૦
હું તેઓને હલવાનોની જેમ બકરાંસહિત ઘેટાંઓની જેમ કતલખાનામાં લઈ જઈશ.
૪૧
શેશાખને કેવો જીતી લેવામાં આવ્યો છે! આખી પૃથ્વીમાં પ્રશસિત થયેલો તે કેવો પકડાયો છે! બાબિલ અન્ય પ્રજાઓમાં કેવો ઉજ્જડ થયો છે!
૪૨
બાબિલ પર સમુદ્ર ફરી વળ્યો છે. તેનાં મોજાઓએ તેને ઢાંકી દીધું છે.
૪૩
તેના નગરો ખંડેર સ્થિતિમાં પડ્યાં છે. સમગ્ર દેશ સૂકા અરણ્ય સમાન થઈ ગયો છે. ત્યાં કોઈ રહેતું નથી અને તેમાં થઈને કોઈ મનુષ્ય પણ પસાર થતા નથી.
૪૪
યહોવાહ કહે છે, “હું બાબિલમાં બેલને સજા કરીશ અને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી પાછું કાઢીશ. પ્રજાઓ તેની પાસે આવશે નહિ અને તેની પૂજા કરશે નહિ. અને બાબિલની ફરતે આવેલી દીવાલો પડી જશે.
Settings