યર્મિયા ૩૬:૪-૧૯
૪
¶ તેથી યર્મિયાએ નેરિયાના દીકરા બારુખને બોલાવ્યો અને યર્મિયાએ લખાવ્યું તે પ્રમાણે બારુખે યહોવાહના બધા ભવિષ્યવચનો ઓળિયામાં લખ્યાં.
૫
ત્યારબાદ યર્મિયાએ બારુખને આજ્ઞા આપી અને કહ્યું કે, “હું કેદમાં છું અને મને યહોવાહના ઘરમાં જવાનો નિષેધ છે.
૬
માટે તું જા અને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાહના વચનો યહોવાહનાં ઘરમાં ઉપવાસના દિવસે લોકોની આગળ અને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ વાંચી સંભળાવ.
૭
¶ કદાચ તે લોકો યહોવાહને વિનંતી કરે અને ખોટે માગેર્થી પાછા વળે; કેમ કે, યહોવાહે એ લોકોને ભારે રોષ અને ક્રોધપૂર્વક ધમકી આપેલી છે.”
૮
યર્મિયા પ્રબોધકે કહ્યું હતું તે મુજબ નેરિયાના દીકરા બારુખે કર્યું અને યહોવાહના ઘરમાં લોકોની આગળ સર્વ વચનો વાંચી સંભળાવ્યાં.
૯
¶ યોશિયાના દીકરા યહોયાકીમ રાજાના શાસનકાળ દરમિયાન પાંચમા વર્ષના નવમા મહિનામાં યરુશાલેમના બધા લોકોએ તેમ જ યહૂદિયાના નગરોમાંથી જેઓ આવ્યા હતા તેઓને યહોવાહ સમક્ષ ઉપવાસ કરવાનું ફરમાવ્યું.
૧૦
ત્યારે બારુખે પુસ્તકમાંનાં યર્મિયાના વચનો યહોવાહના ઘરમાં વાંચી સંભળાવ્યાં. શાફાન લહિયાના દીકરા ગમાર્યાના ઉપરના આંગણામાંના ઓરડામાં અને યહોવાહના સભાસ્થાનના નવા દરવાજાના ઓટલા પાસે તેણે સર્વ લોકોની આગળ વાંચી સંભળાવ્યાં.
૧૧
¶ હવે શાફાનના દીકરા ગમાર્યાના દીકરા મીખાયાએ યહોવાહ તરફથી આવેલા આ સંદેશાઓ જે પત્રકમાં લખેલાં હતા તે સાંભળ્યા.
૧૨
ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.
૧૩
¶ ત્યાં બારુખે લોકોની સમક્ષ વાંચી સંભળાવેલા પુસ્તકના જે વચનો તેણે સાંભળ્યા હતાં તે સર્વ વિષે મીખાયાએ તેઓને કહી સંભળાવ્યાં.
૧૪
પછી સર્વ અધિકારીઓએ કૂશીના દીકરા શેલેમ્યાના દીકરા નથાન્યાના દીકરા યેહૂદીને બારુખ પાસે મોકલીને કહેવડાવ્યું કે, “જે ઓળિયામાંથી તે લોકોને વાંચી સંભળાવ્યું છે, તે ઓળિયું તારા હાથમાં લઈને અહીં આવ.” તેથી નેરિયાના દીકરા બારુખે ઓળિયું હાથમાં લઈને અમલદારો પાસે ગયો.
૧૫
તેઓએ તેને કહ્યું કે, “તું બેસીને તે અમને વાંચી સંભળાવ.” આથી બારુખે તેઓને તે વાંચી સંભળાવ્યું.
૧૬
¶ બારુખે તેઓની સામે જે વાંચન કર્યુ, તે જેવું તેઓએ સાંભળ્યું કે, તેઓ એકબીજાની સામે ભયથી જોવા લાગ્યા અને બારુખને કહ્યું, “તેં જે બધું વાંચ્યું છે તેના વિષે આપણે જરૂર રાજાને જણાવવું જોઈએ.”
૧૭
પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?”
૧૮
તેથી બારુખે ખુલાસો કર્યો, યર્મિયાએ તેના મુખમાંથી આ સર્વ વચન ઉચ્ચાર્યાં અને મેં તે પત્રકમાં શાહીથી લખી લીધાં.”
૧૯
પછી અધિકારીઓએ બારુખને કહ્યું, “તું અને યર્મિયા ક્યાંક છુપાઇ જાઓ. તમે ક્યાં છો તે વિષે કોઈને પણ જાણ કરશો નહિ.”
Settings