યર્મિયા ૩:૧૨-૨૨
૧૨
તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.
૧૩
માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે; અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું! કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.
૧૪
¶ વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ.
૧૫
મારા મનગમતાં પાળકો હું તમને આપીશ; અને તેઓ ડહાપણ તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.
૧૬
¶ વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’”
૧૭
¶ તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.
૧૮
¶ તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.
૧૯
પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’ અને મારાથી કદી વિમુખ નહિ થાય.
૨૦
જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.
૨૧
ખાલી પર્વતો પર સાદ સાંભળવામાં આવ્યો છે. એટલે ઇઝરાયલી લોકોનું રુદન તથા તેઓની વિનંતીઓ સાંભળવામાં આવી છે. કેમ કે તેઓ અવળે માર્ગે ચાલ્યા છે અને તેમના ઈશ્વર યહોવાહને વીસરી ગયા છે.
૨૨
હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ. જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો!
Settings