હિબ્રૂઓને પત્ર ૯:૧-૧૪
૧
¶ હવે પહેલા કરારમાં પણ ભજનસેવાના વિધિઓ તથા જગિક પવિત્રસ્થાન પણ હતું ખરું.
૨
કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો, તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્રસ્થાન કહેવાતું હતું.
૩
¶ અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમપવિત્રસ્થાન કહેવાતું હતું.
૪
તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી, એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતા,
૫
અને તે પર ગૌરવી કરુબિમ હતા, તેઓની છાયા દયાસન પર પડતી હતી; હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી.
૬
¶ હવે ઉપર દર્શાવ્યાં મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરાર કોશના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.
૭
પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો; પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો.
૮
¶ તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમપવિત્રસ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી.
૯
વર્તમાનકાળને સારુ તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારનાં અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતાં, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતાં.
૧૦
તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા.
૧૧
¶ ખ્રિસ્ત, હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને, હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહિ એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને,
૧૨
બકરાના તથા વાછરડાના લોહીથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમપવિત્રસ્થાનમાં એક જ વાર ગયા હતા.
૧૩
¶ કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ, અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે,
૧૪
તો ખ્રિસ્ત, જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારાં અંતઃકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતાં કેટલું વિશેષ શુદ્ધ કરશે?
Settings