એઝરા ૮:૨૫-૩૦
૨૫
મેં તેઓને સોનું ચાંદી, પાત્રો અને અર્પણો ઈશ્વરના સભાસ્થાનને માટે રાજાએ, તેના સલાહકારોએ, અધિકારીઓએ અને ત્યાં હાજર રહેલા બધા ઇઝરાયલીઓએ આપ્યાં હતા તે સર્વ તોળીને આપ્યાં.
૨૬
¶ મેં તેમને બાવીસ હજાર એક્સો કિલો ચાંદી, ત્રણ હજાર ચારસો કિલો વજનના ચાંદીનાં વાસણો, ત્રણ હજાર ચારસો કિલો સોનું,
૨૭
સોનાના વીસ ઘડાઓ, જેનું વજન સાડા આઠ કિલો હતું, પિત્તળના બે વાસણો, જે સોના જેટલાં જ કિંમતી હતાં તે આપ્યાં.
૨૮
¶ પછી મેં તેઓને કહ્યું, “તમે યહોવાહને માટે પવિત્ર છો, તેમ આ વાસણો પણ યહોવાહને માટે પવિત્ર છે. આ સોનું અને ચાંદી તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને માટે ઐચ્છિકાર્પણ છે.”
૨૯
મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓના કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”
૩૦
એમ યાજકોને અને લેવીઓને યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાને લઈ જવા માટે ચાંદી, સોનું અને અન્ય પાત્રો વજન કરી આપ્યાં.
Settings