હઝકિયેલ ૩૬:૨૪-૩૮
૨૪
¶ હું તમને પ્રજાઓમાંથી લઈને તથા દરેક દેશમાંથી ભેગા કરીને, તમારા પોતાના દેશમાં પાછા લાવીશ.
૨૫
હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, તમે તમારી બધી અશુદ્ધિઓથી શુદ્ધ થશો. અને હું તમને તમારી સર્વ મૂર્તિઓથી શુદ્ધ કરીશ.
૨૬
¶ હું તમને નવું હૃદય આપીશ, તમારામાં હું નવો આત્મા મૂકીશ. હું તમારામાંથી પથ્થર સમાન હૃદય દૂર કરીશ કેમ કે હું તમને માંસનું હૃદય આપીશ.
૨૭
હું તમારામાં મારો આત્મા મૂકીશ અને તમને મારા નિયમો પ્રમાણે ચલાવીશ, તમે મારી આજ્ઞાઓ પાળશો, તેમને અમલમાં મૂકશો.
૨૮
તમારા પૂર્વજોને આપેલા ઇઝરાયલ દેશમાં વસશો. તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.
૨૯
¶ કેમ કે હું તમને સર્વ અશુદ્ધિઓથી બચાવીશ. હું અનાજને આજ્ઞા કરીશ અને તેની વૃદ્ધિ કરીશ. હું તમારે ત્યાં દુકાળ કદી પડવા દઈશ નહિ.
૩૦
હું વૃક્ષોનાં ફળ અને ખેતીની પેદાશમાં વૃદ્ધિ કરીશ તેથી લોકોમાં તમારે કદી દુકાળનું મહેણું સાંભળવું પડે નહિ.
૩૧
ત્યારે તમને તમારાં આચરણો તથા તમારાં કાર્યો જે સારાં નથી તે યાદ આવશે, તમારાં પાપો તથા તમારા ધિક્કારપાત્ર કૃત્યોને લીધે તમે પોતાને ધિક્કારશો.
૩૨
¶ પ્રભુ યહોવાહ કહે છે, હું તમારી ખાતર એ નહિ કરું.’ ‘એ તમે જાણજો. હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણોને કારણે તમે શરમજનક તથા કલંકરૂપ થાઓ.’
૩૩
પ્રભુ યહોવાહ કહે છે: ‘તે દિવસે હું તમને તમારા અન્યાયોથી શુદ્ધ કરીશ, હું તમને નગરોમાં વસાવીશ અને ઉજ્જડ જગાઓમાં બાંધીશ.
૩૪
વળી જે ભૂમિ વેરાન પડી હતી અને તેની પાસેથી પસાર થનારા સર્વની નજરમાં વેરાન લાગતી હતી, તોપણ તેમાં ફરી ખેડાણ થશે.
૩૫
¶ ત્યારે તેઓ કહેશે, “આ ભૂમિ વેરાન હતી, પણ તે હમણાં એદનવાડી જેવી થઈ ગઈ છે; ઉજ્જડ તથા વેરાન નગરોની આસપાસ કોટ બાંધેલો છે તથા તેમાં લોકો વસે છે.”
૩૬
ત્યારે તારી આસપાસની પ્રજાઓ જાણશે કે હું યહોવાહ છું, મેં ઉજ્જડ નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન જગ્યાઓમાં વાવેતર કર્યું છે. હું યહોવાહ છું. હું તે બોલ્યો છું અને હું તે કરીશ.’”
૩૭
¶ પ્રભુ યહોવાહ કહે છે: ‘ઇઝરાયલી લોકોની વિનંતી સાંભળીને હું તેઓના માટે આ પ્રમાણે કરીશ, હું તેઓનાં ઘેટાંના ટોળાંની જેમ લોકોની વૃદ્ધિ કરીશ.
૩૮
યજ્ઞના ટોળાની જેમ, ઠરાવેલા પર્વોને સમયે યરુશાલેમમા ટોળાની જેમ, વેરાન નગરો લોકોનાં ટોળાંથી ભરાઈ જશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.’”
Settings