Skip to content
હઝકિયેલ ૩૨:૧-૧૬

હઝકિયેલ ૩૨:૧-૧૬

ત્યારબાદ એવું થયું કે બારમા વર્ષના બારમા માસની પહેલીએ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, ‘તું પ્રજાઓ મધ્યે જુવાન સિંહ જેવો છે, તું સમુદ્રમાંના અજગર જેવો છે; તેં પાણીને હલાવી નાખ્યાં છે, તેં તારા પગથી પાણીને ડહોળીને તેઓનાં પાણી ગંદાં કર્યાં છે!”
પ્રભુ યહોવાહ આમ કહે છે કે: “હું ઘણા લોકોની સભામાં મારી જાળ તારા પર પ્રસારીશ, તેઓ તને મારી જાળમાં બહાર ખેંચી લાવશે.
હું તને જમીન પર પડતો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ, આકાશના સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.
કેમ કે હું તારું માંસ પર્વત પર નાખીશ, તારા બચી ગયેલાંઓથી ખીણો ભરી દઈશ.
ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ, નાળાઓને તારા રક્તથી ભરી દઈશ.
હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.
હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ, તારા દેશમાં અંધકાર ફેલાવીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે.
જ્યારે જે પ્રજાઓને તું જાણતો નથી તેઓના દેશોમાં હું તારો વિનાશ કરીશ, ત્યારે હું ઘણા લોકોનાં હૃદયોને પણ ત્રાસ પમાડીશ.
૧૦
તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.”
૧૧
કેમ કે પ્રભુ યહોવાહ કહે છે; “બાબિલના રાજાની તલવાર તારી સામે આવશે.
૧૨
હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી દુષ્ટ છે. આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
૧૩
કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ; માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
૧૪
ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
૧૫
હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ; જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
૧૬
આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે. તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options