Skip to content
હઝકિયેલ ૧૭:૧-૧૦

હઝકિયેલ ૧૭:૧-૧૦

યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.
તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.
વૃક્ષની ટોચે રહેલી ડાળીઓ તોડીને તેને તે કનાન દેશમાં લઈ ગયો; તેણે તે વેપારીઓના નગરમાં રોપી.
તેણે જમીન પરથી કેટલાંક બીજ પણ લીધાં, તેને વાવણી માટે તૈયાર જમીન પર વાવ્યા. તેણે તે દેશનું બી લઈને ફળદ્રુપ જમીનમાં મોટા જળાશય પાસે ઊગેલા વૃક્ષની માફક રોપ્યું.
તે બીજમાંથી વેલો ઊગીને વધવા લાગ્યો અને તે વધીને નીચા કદનો ફાલેલો દ્રાક્ષાવેલો બન્યો. તેની ડાળીઓ તેની તરફ વળી અને તેનાં મૂળ તેની નીચે હતાં. તે દ્રાક્ષાવેલો બન્યો, તેને ડાળીઓ આવી અને કૂંપળો ફૂટી નીકળી.
પણ બીજો મોટી પાંખવાળો તથા ઘણાં પીંછાવાળો એક ગરુડ હતો. અને જુઓ, પેલા દ્રાક્ષવેલાએ પોતાના મૂળિયાં ગરુડ તરફ વાળ્યાં, તેને જે ક્યારામાં ઉગાવવામાં આવ્યો હતો ત્યાંથી તેની ડાળીઓ ગરુડ તરફ વળી, જેથી તે વધારે પાણી સિંચે.
તેને સારી જમીનમાં મોટા જળાશય પાસે રોપવામાં આવ્યો હતો, જેથી તેને પુષ્કળ ડાળીઓ ફૂટે અને ફળ લાગે, તે મજાનો દ્રાક્ષાવેલો બને!”
લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ એવું કહે છે: શું તે ફાલશે? ઘણું બળ કે ઘણાં લોકને કામે લગાડ્યા સિવાય તે તેને સમૂળગો ઉખેડી નહિ નાખે? તેનાં મૂળ ઉખેડી નાખીને અને તેનાં ફળો તોડીને તેના બધાં લીલાં પાંદડાં ચીમળાવી નહિ નાખે?
૧૦
હા જુઓ, તેને રોપ્યો છે તો ખરો પણ શું તે ફાલશે ખરો? જ્યારે પૂર્વનો પવન વાશે ત્યારે એ સુકાઈ નહિ જાય? જે ક્યારામાં તે ઊગ્યો છે ત્યાં તે ચીમળાઇ જશે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options