નિર્ગમન ૧૮:૧૩-૨૭
૧૩
¶ બીજે દિવસે સવારે મૂસાએ ઘણા લોકોનો ન્યાય કરવાનું શરૂ કર્યું. તેઓ ન્યાય મેળવવા માટે સવારથી સાંજ સુધી આવતા રહેતા હતા અને પોતાનો વારો આવે એની રાહ જોતા હતા.
૧૪
મૂસા લોકો માટે જે કંઈ કરતો હતો તે સઘળું મૂસાના સસરાએ જોયું, તેથી તેણે મૂસાને કહ્યું, “લોકોના માટે તું આ શું કરે છે? ન્યાયાધીશ તરીકે તું એકલો બેસે છે અને આટલા બધા લોકો તારી પાસે સવારથી સાંજ સુધી આવીને ઊભા રહે છે! તેનું શું કારણ છે?”
૧૫
¶ ત્યારે મૂસાએ કહ્યું, “લોકો મારી પાસે તેઓની સમસ્યાઓના સંબંધમાં યહોવાહની ઇચ્છા વિષે પૂછવા માટે આવે છે.
૧૬
વળી એ લોકોમાં કોઈ વિવાદ થયો હોય, તેના ન્યાયચુકાદા માટે મારી પાસે આવે છે. તેઓમાં કોણ સાચું છે તે હું નક્કી કરું છું. આ રીતે હું તેઓને યહોવાહના નિયમો અને વિધિઓ વિષે શીખવું છું.”
૧૭
¶ પરંતુ મૂસાને તેના સસરાએ કહ્યું, “તું જે રીતે આ કરી રહ્યો છે તે પધ્ધતિ યોગ્ય નથી.
૧૮
તું તંગ આવી જશે. તારા એકલાથી આ કામનો બોજો ઉપાડી શકાય એવો નથી. તું એકલો એ નહિ કરી શકે.”
૧૯
હું તને સલાહ આપું છું અને તારે શું કરવું જોઈએ, એ તને બતાવું છું. “હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે તને મદદ કરે. તારે યહોવાહ સમક્ષ એ લોકોના પ્રતિનિધિ થવું જોઈએ અને તે લોકોના પ્રશ્નો યહોવાહની સમક્ષ રજૂ કરવા જોઈએ.
૨૦
અને તારે લોકોને યહોવાહના નિયમો તથા વિધિઓ તેઓ પાળે અને તોડે નહિ તે માટે ચેતવવાના છે અને તેઓને શીખવવાનું છે. તેઓને જીવનનો સાચો માર્ગ કયો છે અને શું કરવું તે સમજાવવાનું છે.”
૨૧
¶ “વિશેષમાં તું યહોવાહની બીક રાખનાર તથા સર્વ લોકોમાંથી હોશિયાર અને વિશ્વાસપાત્ર હોય, લાંચરુશવતને ધિક્કારનાર તથા નિસ્વાર્થ હોય એવા માણસોને પસંદ કરીને તેઓને હજાર હજાર, સો સો, પચાસ પચાસ અને દશ દશ માણસોના ઉપરીઓ તરીકે નિયુક્ત કર.
૨૨
પછી એ ઉપરી પ્રતિનિધિઓને લોકોનો ન્યાય કરવા દે. જો કોઈ બહુ જ ગંભીર સમસ્યા હોય તો ઉપરી પ્રતિનિધિ નિર્ણય કરશે અને પછી તેઓ તારી પાસે આવી શકશે. પરંતુ સામાન્ય પ્રકારના પ્રશ્નોનો નિર્ણય તો તેઓ જ કરશે. આમ તારા કાર્યમાં તેઓ સહભાગી થશે અને તારું કામ સરળ થશે.
૨૩
હવે જો તું આ બધું કરીશ, તો યહોવાહની ઇચ્છા પૂર્ણ થશે. તને થાક લાગશે નહિ. અને આવનારા લોકો પણ સંપૂર્ણપણે સંતોષી થઈ પોતાના ઘરે પાછા ફરશે.”
૨૪
¶ મૂસાએ પોતાના સસરાની સલાહ સ્વીકારી અને તેણે તે પ્રમાણે અમલ કર્યો.
૨૫
મૂસાએ સર્વ ઇઝરાયલના લોકોમાંથી ચુનંદા માણસો પસંદ કર્યા અને તેઓમાંથી હજારના, સોના, પચાસના, તથા દશ માણસોના ઉપરી તરીકે નિયુક્ત કર્યાં.
૨૬
ત્યાર બાદ તેઓ જ બધો સમય લોકોનો ન્યાય કરવા લાગ્યા. ફક્ત મુશ્કેલ પ્રશ્નો હોય તો જ તેઓ મૂસા આગળ લાવતા અને નાના સામાન્ય પ્રશ્નો તેઓ જાતે હલ કરતા હતા.
૨૭
પછી મૂસાએ પોતાના સસરા યિથ્રોને વિદાય આપી. યિથ્રો તેના વતનમાં પાછો ગયો.
Settings