નિર્ગમન ૧૫:૧-૧૯
૧
¶ પછી મૂસાએ અને ઇઝરાયલના લોકોએ યહોવાહની સમક્ષ આ સ્તુતિગાન ગાયું: “હું યહોવાહની સમક્ષ ગાયન કરીશ, તેમણે મહાન વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે ઘોડા અને સવારોને સમુદ્રમાં ડુબાડી દીધા છે;
૨
યહોવાહ મારું સામર્થ્ય અને ગીત છે; તે મારો ઉદ્ધાર થયા છે. આ મારા ઈશ્વર છે અને હું તેમની સ્તુતિ કરીશ. મારા પૂર્વજોના ઈશ્વર, હું તેમને મહાન માનું છું.
૩
યહોવાહ તો યોદ્ધા છે, તેમનું નામ યહોવાહ છે.
૪
તેમણે ફારુનનાં રથદળોને સમુદ્રમાં ડુબાડી દીધા; અને તેના માનીતા સરદારોને પણ સૂફ સમુદ્રમાં ડુબાડી દીઘા છે.
૫
પાણીના પ્રવાહો તેઓના પર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની માફક છેક તળિયે ડૂબી ગયા છે.
૬
હે યહોવાહ! તમારો જમણો હાથ, પરાક્રમે મહિમાવાન છે. હે યહોવાહ! તમારો જમણો હાથ શત્રુઓને પછાડીને તેમના ચૂરા કરે છે.
૭
તમારી સામે થનારને તમે તમારી શ્રેષ્ઠતાના માહાત્મ્યથી પાયમાલ કરો છો. તમે તમારા ભયાનક કોપથી તેઓને ઘાસના પૂળાની જેમ બાળી નાખો છો.
૮
હે યહોવાહ, તમારા ઉચ્છવાસથી પાણીના; અને મોજાંઓ અટકીને તેમના જાણે ઊંચા ટેકરા બની ગયા. અને દરિયાના ઊંડાણમાં જળના પ્રવાહો ઠરી ગયા.
૯
શત્રુએ સંકલ્પ કર્યો કે, ‘હું પાછળ પડીશ, અને હું તેઓનું ધન લૂંટી લઈશ. હું મારી તલવાર ઉગામીશ. અને મારે હાથે તેઓનો નાશ કરીશ.’
૧૦
પરંતુ હે યહોવાહ! તમે તમારો પવન ફૂંક્યો. અને સમુદ્રના પાણી તેઓ પર ફરી વળ્યાં. તેઓ સીસાની માફક સમુદ્રના મહાજળમાં ડૂબી ગયા.
૧૧
હે યહોવાહ, તમારા જેવા અન્ય કોઈ ઈશ્વર નથી? તમારા જેવા પરમપવિત્ર, મહિમાવાન; સ્તોત્રોમાં ભયજનક અને પરાક્રમી બીજા કોણ છે?
૧૨
અને પૃથ્વી તેઓને તત્કાળ ગળી ગઈ, તમે કેવળ જમણો હાથ ઊંચો કર્યો.
૧૩
તમે તમારા લોકોને છોડાવ્યા. તમારા પ્રેમ અને કરુણાથી તમારા સામર્થ્ય વડે તમે તેઓને; તમારા પવિત્ર નિવાસમાં દોરી લાવ્યા છો.
૧૪
પ્રજા આ સાંભળીને કંપે છે, સર્વ પલિસ્તી વાસીઓ પીડા પામ્યા છે.
૧૫
તે સમયે અદોમના સરદારો આશ્ચર્યચકિત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષોને ધ્રૂજારી થઈ; અને બધા કનાનવાસીઓનાં ગાત્રો શિથિલ થઈ ગયાં;
૧૬
તેઓ ઉપર ભય અને ત્રાસ આવી પડયા, અને તમે મુક્ત કરેલા લોકો જ્યાં સુધી નિશ્ચિત સ્થાને ન પહોંચો;, અને તેઓની મુસાફરી પૂરી ન થાય ત્યાં સુધી યહોવાહ, તમારા ભુજના સામર્થ્યથી તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ ગયા,
૧૭
હે પ્રભુ જયાં તમારો આવાસ છે અને જે પવિત્રસ્થાન તમે સ્થાપિત કર્યું છે; એટલે તમારા પવિત્ર પર્વતમાં તેઓને લાવીને તમે તેઓને ત્યાં સ્થાયી વસાવવાના છો. ત્યાં તમે તમારું ભક્તિસ્થાન બાંધશો.
૧૮
હે યહોવાહ, તમે સદાસર્વકાળ સુધી રાજ્ય કરવાના છો.”
૧૯
¶ ખરેખર એવું બન્યું કે, જ્યારે ફારુનના ઘોડેસવારો, રથો અને તેઓના સવારોએ સમુદ્રમાં પ્રવેશ કર્યો, ત્યારે યહોવાહે સમુદ્રનાં પાણી પાછાં વાળીને તેઓ પર ફેરવી વાળ્યાં; પરંતુ ઇઝરાયલી લોકો તો સમુદ્ર મધ્યે થઈને કોરી જમીન પર ચાલીને પસાર થઈ ગયા.
Settings