Skip to content
પુનર્નિયમ ૨૨:૧૩-૩૦

વ્યભિચાર અને લગ્ન અંગેના કાયદા

પુનર્નિયમ ૨૨:૧૩-૩૦
૧૩
જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
૧૪
તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”
૧૫
તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.
૧૬
અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”
૧૭
જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.
૧૮
ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;
૧૯
તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.
૨૦
પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,
૨૧
તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
૨૨
જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.
૨૩
જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,
૨૪
તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.
૨૫
પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.
૨૬
પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે.
૨૭
કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું.
૨૮
વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય;
૨૯
તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.
૩૦
કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options