Skip to content
પુનર્નિયમ ૧૨:૧૫-૨૮

પુનર્નિયમ ૧૨:૧૫-૨૮

૧૫
તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો.
૧૬
પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.
૧૭
તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી.
૧૮
પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.
૧૯
પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.
૨૦
જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.
૨૧
તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં.
૨૨
હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.
૨૩
પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ.
૨૪
તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.
૨૫
તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.
૨૬
તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં.
૨૭
અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.
૨૮
જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options