પુનર્નિયમ ૧:૬-૨૯
૬
આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.
૭
¶ તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ.
૮
જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો.’”
૯
¶ “તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી.
૧૦
તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે.
૧૧
તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો.
૧૨
¶ પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું?
૧૩
માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ.”
૧૪
પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે.
૧૫
“તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા.
૧૬
અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.
૧૭
¶ ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ.
૧૮
અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.
૧૯
¶ અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.
૨૦
¶ ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.
૨૧
જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.”
૨૨
¶ અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.”
૨૩
અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
૨૪
અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.
૨૫
અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
૨૬
¶ “પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.
૨૭
અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.
૨૮
હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”
૨૯
¶ ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.
Settings