Skip to content
પુનર્નિયમ ૧:૨૦-૪૬

પુનર્નિયમ ૧:૨૦-૪૬

૨૦
ત્યારે મેં તમને કહ્યું કે, “અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો.
૨૧
જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ.”
૨૨
અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.”
૨૩
અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા.
૨૪
અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.
૨૫
અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.
૨૬
“પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો.
૨૭
અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, ‘યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે.
૨૮
હવે આગળ અમે કયાં જઈએ? “તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે.”
૨૯
ત્યારે મેં તમને કહ્યું કે, “ડરો નહિ અને તેઓથી બી ન જાઓ.
૩૦
તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે.
૩૧
અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે.”
૩૨
આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ,
૩૩
રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.
૩૪
યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે,
૩૫
“જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ.
૩૬
ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે.”
૩૭
વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, “તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ;
૩૮
નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.
૩૯
વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે.
૪૦
પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો.”
૪૧
ત્યારે તમે મને જવાબ આપ્યો કે, “અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.” તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો.
૪૨
યહોવાહે મને કહ્યું, “તેઓને કહે કે, ‘હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી.”
૪૩
એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો.
૪૪
પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.
૪૫
તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ.
૪૬
આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options