દારિયેલ ૩:૧૬-૨૭
૧૬
¶ શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોએ રાજાને જવાબ આપ્યો, “હે નબૂખાદનેસ્સાર, આ બાબતમાં તમને જવાબ આપવાની અમને કોઈ જરૂર નથી.
૧૭
જો કોઈ જવાબ હોય તો, તે અમારા ઈશ્વર કે જેમની અમે સેવા કરીએ છીએ તે આપશે. તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીથી સલામત રાખવાને શક્તિમાન છે, હે રાજા, તે અમને તમારા હાથમાંથી છોડાવશે.
૧૮
પણ જો નહિ છોડાવે, તોપણ, હે રાજા તમે જાણી લો કે, અમે તમારા દેવોની સેવા નહિ કરીએ કે, તમે સ્થાપેલી સોનાની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ નહિ કરીએ.”
૧૯
¶ ત્યારે નબૂખાદનેસ્સાર વધારે રોષે ભરાયો; શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો સામે તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે હુકમ કર્યો કે, ભઠ્ઠીને હંમેશાં ગરમ કરવામાં આવે છે તેના કરતાં સાતગણી વધારે ગરમ કરવામાં આવે.
૨૦
પછી તેણે પોતાના સૈન્યના કેટલાક બળવાન માણસોને હુકમ કર્યો કે, શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને બાંધીને તેઓને બળબળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખી દો.
૨૧
¶ તેઓએ તેઓને ઝભ્ભા, પાઘડી તથા બીજાં વસ્ત્રો સહિત બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દીધા.
૨૨
રાજાના હુકમને સખત રીતે અનુસરવામાં આવ્યો હતો. ભઠ્ઠી ઘણી ગરમ હતી. જે માણસો શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગોને લાવ્યા હતા તેઓને અગ્નિની જ્વાળાઓની ઝાળ લાગી. તેઓ બળીને મરી ગયા.
૨૩
આ ત્રણ માણસો એટલે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, તેઓ જેવા બંધાયેલા હતા તેવા જ બળબળતી અગ્નિની ભઠ્ઠીમાં પડ્યા.
૨૪
¶ ત્યારે નબૂખાદનેસ્સાર રાજા આશ્ચર્ય પામીને તરત જ ઊભો થઈ ગયો. તેણે પોતાના સલાહકારોને પૂછ્યું, “શું આપણે ત્રણ માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા?” તેઓએ રાજાને જવાબ આપ્યો, “હા રાજા, ચોક્કસ એવું જ છે.”
૨૫
પછી તેણે કહ્યું, “પણ હું તો ચાર માણસોને અગ્નિમાં ચારેબાજુ છૂટા ફરતા જોઉં છું અને તેઓને કંઈ ઈજા થયેલી નથી. ચોથાનું સ્વરૂપ તો દેવપુત્ર જેવું દેખાય છે.”
૨૬
¶ પછી નબૂખાદનેસ્સાર સળગતી ભઠ્ઠીના દરવાજા પાસે આવ્યો અને કહ્યું, “શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર આવો, અહીં આવો! “ત્યારે શાદ્રાખ, મેશાખ તથા અબેદ-નગો અગ્નિમાંથી નીકળીને બહાર આવ્યા.
૨૭
પ્રાંતોના રાજકર્તાઓ, સૂબાઓ, નાયબસૂબાઓ તથા રાજાના દરબારીઓએ એકત્ર થઈને આ માણસોને જોયા. અગ્નિથી તેઓના શરીર ઉપર ઈજા થઈ ન હતી. તેઓના માથાના વાળ બળ્યા નહોતા, તેઓના ઝભ્ભાઓને ઈજા થઈ ન હતી; તેઓના પરથી અગ્નિની ગંધ પણ આવતી નહોતી.
Settings