Skip to content
2 રાજઓ ૧૮:૧૭-૨૬

2 રાજઓ ૧૮:૧૭-૨૬

૧૭
પણ આશ્શૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબ-સારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમમાં મોકલ્યા. તેઓ માર્ગે મુસાફરી કરીને યરુશાલેમ પહોંચ્યા. તેઓ યરુશાલેમ પહોંચીને ધોબીના ખેતરના માર્ગ પર આવેલા ઉપરના તળાવના ગરનાળા પાસે થોભ્યા.
૧૮
તેઓએ હિઝકિયા રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલિયાકીમ જે ઘરનો ઉપરી હતો તે, નાણાં મંત્રી શેબ્ના તથા આસાફનો દીકરો યોઆહ જે ઇતિહાસકાર હતો, તેઓ તેઓને મળવા બહાર આવ્યા.
૧૯
રાબશાકેહ તેઓને કહ્યું કે, હવે તમે હિઝકિયાને જઈને કહો કે, આશ્શૂરનો મહાન રાજા પૂછે છે કે, “તારો આત્મવિશ્વાસ શેનાથી છે?
૨૦
તું કહે છે, યુદ્ધને માટે સહયોગી મિત્રો અને પરાક્રમ અમારી પાસે છે તે તો માત્ર નકામી વાતો છે. કોના પર તું ભરોસો રાખે છે? કોણે તને મારી વિરુદ્ધ બંડ કરવાની હિંમત આપી છે?
૨૧
જો, તું આ બરુરુપી લાકડી જેવા મિસર પર ભરોસો રાખીને ચાલે છે, પણ જે કોઈ તેનો આધાર લે છે તેના હાથમાં પેસીને તે તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન તેના પર ભરોસો રાખનારની સાથે આવી જ રીતે વર્તે છે.
૨૨
પણ જો તમે એવું કહો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,’ તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?’
૨૩
તો હવે, કૃપા કરી મારા માલિક આશ્શૂરના રાજા સાથે તું સારી શરત કર. એટલે કે જો તું તેમના માટે સવારી કરનારા પૂરા પાડે તો હું તને બે હજાર ઘોડા આપીશ.
૨૪
જો તારાથી ન બની શકે તો તું રથો અને ઘોડેસવારોના માટે મિસર પર ભરોસો રાખીને મારા માલિકના એક પણ સરદારને કેવી રીતે પાછો હઠાવી શકે?
૨૫
શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’”
૨૬
હિલ્કિયાના દીકરા એલિયાકીમ, શેબ્ના અને યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને તારા સેવકોની સાથે અરામી ભાષામાં બોલ, કે અમે તે સમજી શકીએ. અમારી સાથે હિબ્રૂ ભાષામાં ના બોલીશ. જેઓ દિવાલ પર છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદિયાની ભાષામાં બોલીશ નહિ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options