2 કાળવ્રત્તાંત ૬:૨૨-૩૧
૨૨
¶ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે તથા તેને સમ આપીને પ્રતિજ્ઞા અપાવે અને જો તે વ્યક્તિ આ સભાસ્થાનમાંની વેદી આગળ શપથ લઈને પ્રતિજ્ઞા લે,
૨૩
ત્યારે આકાશમાં તમારા સેવકનું સાંભળી અને દુષ્ટનાં કામો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો. અને ન્યાયી માણસને પ્રામાણિક ઠરાવીને, તેની પ્રામાણિકતાનો બદલો આપજો.
૨૪
¶ જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,
૨૫
ત્યારે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપની ક્ષમા કરજો; તમે જે દેશ તમારા લોકોને તથા તેઓના પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓને પાછા લાવજો.
૨૬
¶ તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે જ્યારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન વર્ષે, ત્યારે જો તેઓ આ સ્થળ તરફ ફરીને પ્રાર્થના કરે અને તમારા નામે પસ્તાવો કરે અને એ તમારી શિક્ષાને કારણે તેઓ પોતાના પાપોથી પાછા ફરે,
૨૭
તો પછી તમે આકાશમાં તે સાંભળીને તમારા સેવકોના તથા તમારા ઇઝરાયલી લોકોનાં પાપ માફ કરજો, કેમ કે સારા માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો. તમારા લોકોને જે દેશ વારસા તરીકે તમે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
૨૮
¶ કદાચ તે દેશમાં દુકાળ પડે અથવા રોગ ફેલાય, વિનાશ કે ફૂગ ફેલાય, તીડ કે ઈયળો પડે; અથવા દુશ્મનો તે દેશના પ્રવેશદ્વારો પર હુમલો કરે અથવા ગમે ત્યાં તે મરકી અથવા બીમારી આવે,
૨૯
ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;
૩૦
તો પછી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે કે આકાશમાં તે સાંભળીને માફી આપજો અને દરેકને તેના માર્ગો પ્રમાણે યોગ્ય બદલો આપજો; તમે તેમનું હૃદય જાણો છો, કેમ કે તમે અને કેવળ તમે જ દરેક મનુષ્યનાં હૃદયો જાણો છો.
૩૧
આ પ્રમાણે તમે કરો કે જેથી તેઓ તમારો ભય રાખે, જેથી તેઓ તમારા માર્ગોમાં ચાલે અને જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ રહે.
Settings