1 રાજઓ ૧૯:૧-૮
૧
¶ એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તલવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું.
૨
પછી ઇઝબેલે સંદેશવાહક મોકલીને એલિયાને કહેવડાવ્યું કે, “જેમ તેં તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું પણ તારા પ્રાણ આવતી કાલે રાત્રે આવી જ રીતે આ સમયે લઈશ. જો હું તેમ ના કરું તો દેવ એવું જ અને તેનાથી પણ વધારે કરો.”
૩
જયારે એલિયાએ તે સાંભળ્યું ત્યારે તે પોતાનો જીવ બચાવવા યહૂદિયામાં આવેલા બેરશેબા નગરમાં નાસી ગયો અને તેણે પોતાના ચાકરને ત્યાં રાખ્યો.
૪
¶ પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ત્યાં તે એક રોતેમ વૃક્ષની નીચે બેઠો અને તે પોતે મૃત્યુ પામે તેવી પ્રાર્થના કરી. તેણે કહ્યું, “હવે બસ થયું, હે યહોવાહ ઈશ્વર, મારો પ્રાણ લઈ લો, હું મારા પિતૃઓથી જરાય સારો નથી.”
૫
પછી તે રોતેમ વૃક્ષ નીચે આડો પડયો અને ઊંઘી ગયો, તે ઊંઘતો હતો, ત્યારે એક દૂતે તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે.”
૬
એલિયાએ જોયું, તો નજીક અંગારા પર શેકેલી રોટલી અને પાણીનો કૂંજો તેના માથા પાસે હતો. તે ખાઈ પીને પાછો સૂઈ ગયો.
૭
¶ યહોવાહના દૂતે બીજી વાર આવીને તેને સ્પર્શ કરીને કહ્યું, “ઊઠ અને ખાઈ લે, તારે લાંબી મુસાફરી કરવાની છે.”
૮
તેથી તેણે ઊઠીને ખાધું. પાણી પીધું અને તે ખોરાકથી મળેલી શક્તિથી તે ચાળીસ દિવસ અને ચાળીસ રાત મુસાફરી કરીને યહોવાહના પર્વત હોરેબ સુધી પહોંચ્યો.
Settings