1 રાજઓ ૧૩:૧-૧૦
૧
¶ યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.
૨
ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’
૩
પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
૪
¶ જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.
૫
તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.
૬
¶ યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, “તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય.” તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.
૭
રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”
૮
¶ પણ ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “જો તું મને તારી અડધી સંપત્તિ આપે, તો પણ હું તારી સાથે નહિ જાઉં, આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહિ.
૯
કારણ, મને યહોવાહની આજ્ઞા આપી છે કે, ‘તારે રોટલી ખાવી નહિ તેમ જ પાણી પણ પીવું નહિ અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહિ.’
૧૦
તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
Settings