Skip to content

ગીતશાસ્ત્ર૬૪

હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
૧૦
ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
Use arrow keys to navigate
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options