યશાયા૨૬
Listen to this chapter
0:00
0:00
૧
¶ તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: “અમારું એક મજબૂત નગર છે; ઈશ્વરે ઉદ્ધારને અર્થે તેના કોટ તથા મોરચા ઠરાવી આપ્યા છે.
૨
દરવાજા ઉઘાડો, વિશ્વાસ રાખનાર ન્યાયી પ્રજા તેમાં પ્રવેશે.
૩
તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે.
૪
યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે, યહોવાહ આપણો સનાતન ખડક છે.
૫
કેમ કે તે ગર્વથી રહેનારને નીચા નમાવશે, કિલ્લાવાળા ગર્વિષ્ઠ નગરને તે જમીનદોસ્ત કરી નાખશે; તે તેને ધૂળભેગું કરશે.
૬
પગથી તે ખૂંદાશે; હા દીનોના પગથી અને જરૂરતમંદોના પગથી તે ખૂંદાશે.
૭
ન્યાયીનો માર્ગ સીધો છે, તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છો.
૮
હે યહોવાહ, અમે તમારા ન્યાયના માર્ગોમાં, તમારી રાહ જોતા આવ્યા છીએ; તમારું નામ અને તમારું સ્મરણ એ અમારા પ્રાણની ઝંખના છે.
૯
રાત્રે હું તમારે માટે આતુર બની રહું છું; હા, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. કેમ કે પૃથ્વી પર તમારો ન્યાય આવે છે, ત્યારે જગતના રહેવાસીઓ ન્યાયીપણું શીખે છે.
૧૦
દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, પણ તે ન્યાયીપણું નહિ શીખે. પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરે છે અને તે યહોવાહનો મહિમા જોશે નહિ.
૧૧
હે યહોવાહ, તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ ધ્યાન આપતા નથી. પણ તેઓ તમારા લોકોની ઉત્કંઠા જોઈને શરમાશે, કારણ કે તમારા વેરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને ગળી જશે.
૧૨
હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.
૧૩
હે યહોવાહ અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા માલિકોએ અમારા પર રાજ કર્યું છે; પરંતુ અમે ફક્ત તમારા નામની સ્તુતિ કરીએ છીએ.
૧૪
તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.
૧૫
તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તમે પ્રજા વધારી છે; તમારો મહિમા પ્રગટ કર્યો છે; તમે પૃથ્વીનાં છેડા સુધી સર્વ સીમાઓ વિસ્તારી છે.
૧૬
હે યહોવાહ, સંકટ સમયે તેઓ તમારી તરફ ફર્યા છે; તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તમારી પ્રાર્થના કરી છે.
૧૭
જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા.
૧૮
અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉદ્ધાર અમારાથી થયો નથી અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી.
૧૯
તમારાં મૃતજનો જીવશે; આપણા મૃત શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે અને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.
૨૦
જાઓ, મારી પ્રજા, તમારી ઓરડીમાં પેસો અને અંદર જઈને બારણાં બંધ કરો; જ્યાં સુધી કોપ બંધ પડે નહિ ત્યાં સુધી સંતાઈ રહો.
૨૧
કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note