નહેમ્યા ૧૩:૧૫-૧૯
૧૫
¶ તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને વિશ્રામવારના દિવસે દ્રાક્ષચક્કીમાં દ્રાક્ષ પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.
૧૬
¶ યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને વિશ્રામવારના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા.
૧૭
પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, “તમે આ કેવું ખરાબ કામ કરો છો અને વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરો છો?
૧૮
શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા આ નગર પર શું આ બધાં દુ:ખો વરસાવ્યાં નથી? હવે તમે વિશ્રામવારના દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો.”
૧૯
¶ વિશ્રામવારને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે.
Settings