Skip to content
લેવીય ૨૨:૧૭-૩૩

લેવીય ૨૨:૧૭-૩૩

૧૭
યહોવાહે મૂસાને કહ્યું,
૧૮
“તું હારુનને અને તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલના લોકોને કહે કે જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે કે ઐચ્છિકાર્પણ માટે યહોવાહની આગળ દહનીયાર્પણ ચઢાવે,
૧૯
તો તેઓએ પશુઓમાંનાં, ઘેટાંમાંથી, બકરામાંથી કે અન્યમાંથી એબરહિત ખોડખાંપણ વગરના નર ચઢાવવો એ માટે કે તેઓ માન્ય થાય.
૨૦
પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહિ. તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહિ.
૨૧
જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહ સમક્ષ શાંત્યર્પણ કરે તો તે પશુ બળદ અથવા ઘેટો હોય અને તે ખોડખાંપણ વગર હોય તો જ તે માન્ય થશે.
૨૨
તમારે યહોવાહને અંધ, અપંગ, ઈજા પામેલ અંગવાળું, ખૂજલી કે ખરજવાવાળું કોઈ પશુ યહોવાહને ચઢાવવું નહિ, તેમ જ વેદી પર યહોવાહને સારુ હોમયજ્ઞ પણ કરવો નહિ.
૨૩
જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાહને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે પણ માનતાને સારુ તે માન્ય નહિ કરાય.
૨૪
જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમારે યહોવાહને ચઢાવવું નહિ. તમારા દેશમાં એવાઓને ચઢાવવા નહિ.
૨૫
અને જે પરદેશીઓ એવાં પશુઓને યહોવાહને માટે અર્પણ તરીકે લાવે, તો તમારે તેનો સ્વીકાર કરવો નહિ. કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહિ.’”
૨૬
યહોવાહે મૂસાને કહ્યું,
૨૭
“જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમા દિવસે અને તે પછી તે યહોવાહને સારુ હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.
૨૮
તે પશુ ગાય હોય કે ઘેટી તેને તથા તેના બચ્ચાંને બન્નેને એક જ દિવસે કાપવા નહિ.
૨૯
જયારે તમે ઉપકારાર્થાર્પણનો યજ્ઞ યહોવાહને ચઢાવો ત્યારે તે એવી રીતે ચઢાવો કે તે માન્ય થાય.
૩૦
તમારે તે જ દિવસે તે જમી લેવું. બીજા દિવસ સવાર સુધી તેમાંથી કંઈ રહેવા દેવું નહિ. હું યહોવાહ છું.
૩૧
તમારે મારી સર્વ આજ્ઞાઓનું પાલન કરવું અને તેનો અમલ કરવો, કેમ કે હું યહોવાહ છું.
૩૨
તમારે મારા પવિત્ર નામને ભ્રષ્ટ કરવું નહિ; બધા ઇઝરાયલીઓ મધ્યે હું પવિત્ર મનાઉં. તમને પવિત્ર કરનાર યહોવાહ હું છું.
૩૩
હું તમને મિસરમાંથી તમારો ઈશ્વર થવા માટે લઈ આવ્યો. હું યહોવાહ છું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options