યર્મિયા ૪૮:૨૯-૩૯
૨૯
અમે મોઆબના ગર્વ વિષે સાંભળ્યું છે. તે અતિ ગર્વિષ્ઠ છે. તેનું અભિમાન, ઘમંડ, અહંકાર, ઉદ્ધતાઈ વિષે અમે સાંભળ્યું છે.”
૩૦
¶ યહોવાહ કહે છે કે; હુંતેનો ક્રોધ જાણું છું. તેની બડાઈ બધી ખોટી છે, અને તેનાં કાર્યો બધાં પોકળ છે.
૩૧
અને તેથી હું મોઆબને માટે ચિંતા કરું છું. સમગ્ર મોઆબ માટે હું પોક મૂકીને રડું છું અને કીર-હેરેસના માણસો માટે હું શોક કરું છું.”
૩૨
હે સિબ્માહના દ્રાક્ષવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાંનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે.
૩૩
ફળદ્રુપ ખેતરમાંથી તથા મોઆબની ભૂમિમાંથી ખુશી અને આનંદ અદ્રશ્ય થઈ ગયાં છે, “દ્રાક્ષકુંડોમાં દ્રાક્ષારસ પિલાતો બંધ પાડ્યો છે. કોઈ દ્રાક્ષ ગૂંદતા ગૂંદતાં આનંદના પોકારો કરશે નહિ તેઓનો લલકાર આનંદનો હશે નહિ.
૩૪
¶ હેશ્બોનથી એલઆલેહ સુધી અને ત્યાંથી યાહાસ સુધી સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ-શલીશિયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી સુકાઈ જશે.
૩૫
યહોવાહ કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાનો આપે છે. અને જેઓ પોતાના દેવો આગળ ધૂપ બાળે છે. તે સર્વને હું નષ્ટ કરીશ.”
૩૬
¶ આથી મારું હૃદય મોઆબ અને કીર-હેરેસ માટે શોક કરે છે. કેમ કે જે પુષ્કળ ધન તેઓએ પ્રાપ્ત કર્યું હતું તેઓની સર્વ સંપત્તિ નાશ પામી છે.
૩૭
હા, દરેક માણસનું માથું બોડાયું છે અને બધા માણસની દાઢી મૂંડવામાં આવી છે. તેઓના હાથે ઘા થયેલો છે. અને દરેકની કમરે ટાટ વીંટળાયેલું છે.
૩૮
¶ મોઆબનાં સર્વ ધાબાંઓ પર અને શેરીઓમાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે, મેં મોઆબને અપ્રિય પાત્રને પેઠે ભાંગી નાખ્યો છે.” એમ યહોવાહ કહે છે.
૩૯
“તેઓ વિલાપ કરે છે કે, તેને કેવો ભાંગી નાખવામાં આવ્યો છે! તેઓએ લજવાઈને કેવી રીતે પોતાની પીઠ ફેરવી છે! આથી પોતાની આસપાસના સર્વ લોકમાં મોઆબ ઉપહાસ તથા વિસ્મયરૂપ થશે.”
Settings