યર્મિયા ૧૨:૧-૬
૧
“હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો. તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે?
૨
તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે. તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો.
૩
¶ પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત:કરણને પારખો છો. તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો.
૪
ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે, પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’
૫
માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે?
૬
કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.
Settings