યશાયા ૬૫:૧૭-૨૫
૧૭
¶ કેમ કે જુઓ, હું નવાં આકાશ અને નવી પૃથ્વી ઉત્પન્ન કરનાર છું; અને અગાઉની બિનાઓનું સ્મરણ કરવામાં આવશે નહિ કે તેઓ મનમાં આવશે નહિ.
૧૮
પણ હું જે ઉત્પન્ન કરવા જઈ રહ્યો છું, તેનાથી તમે સર્વકાળ આનંદ કરશો અને હરખાશો. જુઓ, હું યરુશાલેમને આનંદમય તથા તેના લોકોને હર્ષમય ઉત્પન્ન કરું છું.
૧૯
હું યરુશાલેમથી આનંદ પામીશ અને મારા લોકોથી હરાખાઈશ; તેમાં ફરીથી રુદન કે વિલાપનો અવાજ સાંભળવામાં આવશે નહિ.
૨૦
ત્યાં ફરી કદી નવજાત બાળક થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; કે કોઈ વૃદ્ધ માણસ પોતાના સમય અગાઉ મૃત્યુ પામશે નહિ.
૨૧
તેઓ ઘર બાંધશે અને તેમાં રહેશે અને તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનાં ફળ ખાવા પામશે.
૨૨
તેઓ ઘર બાંધશે અને તેમાં બીજા વસશે નહિ; તેઓ રોપે અને બીજા ખાય, એવું થશે નહિ, કેમ કે વૃક્ષના આયુષ્યની જેમ મારા લોકોનું આયુષ્ય થશે. મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનાં ફળનો ભોગવટો લાંબા કાળ સુધી કરશે.
૨૩
તેઓ નકામી મહેનત કરશે નહિ, કે નિરાશાને જન્મ આપશે નહિ. કેમ કે તેઓનાં સંતાનો અને તેઓની સાથે તેઓના વંશજો, યહોવાહ દ્વારા આશીર્વાદ પામેલા છે.
૨૪
તેઓ હાંક મારે, તે અગાઉ હું તેઓને ઉત્તર આપીશ; અને હજુ તેઓ બોલતા હશે, એટલામાં હું તેઓનું સાંભળીશ.
૨૫
વરુ તથા ઘેટું સાથે ચરશે અને સિંહ બળદની જેમ ઘાસ ખાશે; પણ ધૂળ સાપનું ભોજન થશે. મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કે વિનાશ કરશે નહિ.” એવું યહોવાહ કહે છે.
Settings