યશાયા ૬૦:૧૫-૨૨
૧૫
તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ.
૧૬
તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
૧૭
¶ હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.
૧૮
તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.
૧૯
હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે.
૨૦
તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.
૨૧
તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.
૨૨
છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.
Settings