Skip to content
હઝકિયેલ ૨૦:૧૨-૨૪

હઝકિયેલ ૨૦:૧૨-૨૪

૧૨
મેં તેઓને મારી અને તેઓની વચ્ચે વિશ્રામવારો ચિહ્નરૂપે આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવાહ તેમને પવિત્ર કરનાર ઈશ્વર છું.
૧૩
પણ ઇઝરાયલી લોકોએ અરણ્યમાં પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમમાં ચાલ્યા નહિ; પણ, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે, તે મારા હુકમોનો ઇનકાર કર્યો. તેઓએ ખાસ વિશ્રામવારોને અપવિત્ર કર્યાં, આથી, મેં તેઓના પર મારો રોષ ઉતારીને અરણ્યમાં જ તેઓનો સંહાર કરવાનો નિર્ણય કર્યો.
૧૪
પણ મેં મારા નામની ખાતર એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ અપવિત્ર ન થાય.
૧૫
આથી મેં સમ ખાધા કે, મેં તેઓને જે દેશ આપવાનું નક્કી કર્યું હતું, જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ હતો અને જે સૌથી સુંદર ઘરેણા જેવો હતો, તેમાં લઈ જઈશ નહિ.
૧૬
કેમ કે, તેઓએ મારા કાનૂનનો તિરસ્કાર કર્યો, મારા વિધિઓમાં ચાલ્યા નહિ, તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યો છે, પણ તેઓનાં હૃદય મૂર્તિઓ તરફ ખેંચાતાં હતાં.
૧૭
પણ મેં તેઓના પર દયા કરીને તેઓનો નાશ ન કર્યો, અરણ્યમાં તેઓનો પૂરેપૂરો સંહાર ન કર્યો.
૧૮
મેં તેઓનાં દીકરાઓને તથા દીકરીઓને અરણ્યમાં કહ્યું, ‘તમે તમારા પિતાઓના નિયમો પ્રમાણે ચાલશો નહિ, તેઓના હુકમોને અનુસરશો નહિ કે તેઓની મૂર્તિઓથી તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.
૧૯
હું યહોવાહ તમારો ઈશ્વર છું. મારા વિધિઓ પ્રમાણે ચાલો; મારી આજ્ઞાઓ પાળો અને તેમનું પાલન કરો.
૨૦
વિશ્રામવારને પવિત્ર ગણો, જેથી તે તમારી અને મારી વચ્ચે ચિહ્નરૂપ બને, જેથી તમે જાણશો કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”
૨૧
પણ તેઓના દીકરાઓએ તથા દીકરીઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનોને અનુસર્યા નહિ, તેમ જ મારા કાયદાઓનું પાલન કરીને તેનો અમલ કર્યો નહિ. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા, જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, ત્યારે મેં તેઓ પર મારો કોપ રેડીને તેઓના પર મારો આક્રોશ પૂરો કર્યો.
૨૨
પણ મેં મારો હાથ પાછો ખેંચી લીધો, મારા નામની ખાતર એવું કર્યું, જે પ્રજાઓના દેખતાં હું તેઓને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેઓની નજરમાં મારું નામ અપવિત્ર ન કર્યું.
૨૩
તેઓને પ્રજાઓમાં વેરવિખેર કરી નાખવાને તથા દેશદેશ સર્વત્ર વિખેરી નાખવાને, મેં તેઓની આગળ અરણ્યમાં સમ ખાધા.
૨૪
કેમ કે તેઓએ મારા કાનૂનોનો અમલ કર્યો નથી, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો છે, મારા વિશ્રામવારોને અપવિત્ર કર્યાં છે. તેઓના પિતાઓની મૂર્તિઓની તરફ તેઓની દ્રષ્ટિ હતી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options