Skip to content
નિર્ગમન ૮:૧-૧૫

નિર્ગમન ૮:૧-૧૫

પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન પાસે જઈને તેને જણાવ કે યહોવાહ એવું કહે છે: ‘મારા લોકોને મારી સેવા કરવા જવા દે.’
પણ જો તું તેઓને જવા દેવાની ના પાડશે તો, હું મિસર દેશમાં દેડકાંઓ દ્વારા ઉપદ્રવ કરાવીશ.
નીલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. વળી એ દેડકાં નદીમાંથી બહાર આવીને તારા મહેલમાં, ઘરોમાં, શયનખંડમાં તથા પલંગમાં અને તારા અમલદારોના તથા પ્રજાનાં ઘરોમાં, રસોડામાં અને પાણીનાં પાત્રોમાં ભરાઈ જશે.
તું તારી પ્રજા અને તારા અમલદારો ઠેરઠેર દેડકાંના ઉપદ્રવથી હેરાન થઈ જશો.”
પછી યહોવાહે મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”
ત્યારે હારુને મિસર દેશમાં આવેલા પાણીનાં સ્થળો તરફ તેના હાથ ઊંચા કર્યા અને પાણીમાંથી દેડકાંઓ બહાર આવીને સમગ્ર મિસર દેશમાં છવાઈ ગયાં.
મિસરના જાદુગરોએ પણ એવું જ કર્યું. તેઓ પણ મિસર દેશમાં દેડકાંઓ લઈ આવ્યા.
પછી ફારુને મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાહને પ્રાર્થના કરો કે તે મને અને મારી પ્રજાને દેડકાંના ઉપદ્રવથી છોડાવે, એ દેડકાંને દૂર કરે. પછી હું તમારા લોકોને યહોવાહને યજ્ઞો અર્પવા જવા દઈશ.”
મૂસાએ ફારુનને કહ્યું, “સારું, તું કૃપા કરીને મને કહે કે મારે તારા માટે, તારા અમલદારો માટે અને તારી પ્રજા માટે યહોવાહને ક્યારે પ્રાર્થના કરવી, જેથી દેડકાં તમારી પાસેથી અને તમારા ઘરોમાંથી પાણીનાં સ્થળોમાં જતા રહે અને ત્યાં જ રહે.”
૧૦
ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.
૧૧
દેડકાં તારી આગળથી અને ઘરોમાંથી અને તારા મહેલમાંથી અને તારા અમલદારો તેમ જ પ્રજાની આગળથી જતાં રહેશે. અને તેઓ પાણીનાં સ્થળોમાં અને નીલ નદીમાં જ રહેશે.”
૧૨
પછી મૂસા અને હારુન ફારુન પાસેથી વિદાય થયા. મૂસાએ દેડકાંઓ વિષે યહોવાહને વિનંતી કરી.
૧૩
અને યહોવાહે મૂસાની વિનંતી પ્રમાણે કર્યું. ઘરોમાંનાં, ઘરના ચોકમાંનાં તથા ખેતરોમાંનાં દેડકાં મરી ગયાં.
૧૪
મરેલાં દેડકાંઓના ઢગલા ભેગા થયા. તેથી દેશભરમાં દુર્ગંધ પ્રસરી ગઈ.
૧૫
પણ જ્યારે ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાહના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હૃદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options