નિર્ગમન ૨૧:૨૮-૩૬
૨૮
¶ વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.
૨૯
પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.
૩૦
પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.
૩૧
¶ અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.
૩૨
જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.
૩૩
¶ જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,
૩૪
તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.
૩૫
¶ અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.
૩૬
અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.
Settings