એસ્તેર ૨:૧-૮
૧
¶ જયારે અહાશ્વેરોશ રાજાનો ક્રોધ શમી ગયો, ત્યારે વાશ્તી રાણીએ જે કર્યું હતું તે અને તેની વિરુદ્ધ જે હુકમ જાહેર કરવામાં આવ્યો હતો તે તેને યાદ આવ્યાં.
૨
ત્યારે રાજાની ખિજમત કરનારા તેના માણસોએ કહ્યું, “રાજાને સારુ સુંદર જુવાન કુમારિકાઓની શોધ કરવી.
૩
¶ રાજાએ પોતાના રાજ્યના દરેક પ્રાંતોમાં આ કામને માટે અમલદારોને નીમવા જોઈએ. તેઓ સર્વ સૌંદર્યવાન જુવાન કુમારિકાઓને પસંદ કરીને સૂસાના મહેલના જનાનખાનામાં રાજાના ખોજા હેગેના હવાલામાં હાજર કરે. અને તેઓને જોઈએ એવાં સુંગધી દ્રવ્યો પૂરા પાડવામાં આવે.
૪
તેઓમાંની જે કન્યા રાજાને સૌથી વધુ પસંદ પડે તે કુમારિકાને વાશ્તીને સ્થાને રાણીપદ આપવામાં આવે.” આ સલાહ રાજાને ગમી, તેણે તરત જ આ યોજનાનો અમલ કર્યો.
૫
¶ મોર્દખાય નામનો એક યહૂદી સૂસાના મહેલમાં રહેતો હતો. તે કીશના પુત્ર શિમઈના પુત્ર યાઈરનો પુત્ર હતો. તે બિન્યામીની હતો.
૬
બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના રાજા યકોન્યાની સાથે યરુશાલેમથી જે બંદીવાનોને લઈ ગયો હતો તેમાંનો તે પણ એક હતો.
૭
¶ મોર્દખાયે પોતાના કાકાની દીકરી હદાસ્સા એટલે એસ્તેરને ઉછેરીને મોટી કરી હતી. કેમ કે તેને માતાપિતા નહોતાં. કુમારિકા એસ્તેર સુંદર ક્રાંતિની તથા સ્વરૂપવાન હતી. તેનાં માતાપિતાના મૃત્યુ પછી મોર્દખાયે તેને પોતાની દીકરી તરીકે અપનાવી લીધી હતી.
૮
¶ રાજાનો હુકમ તથા ઠરાવ બહાર પડ્યા પછી ઘણી કુમારિકાઓને સૂસાના મહેલમાં લાવીને હેગેના હવાલામાં સોંપવામાં આવી હતી. એસ્તેરને પણ રાજાના મહેલમાં હેગે ખોજાના હવાલામાં સોંપવામાં આવી.
Settings