આમોસ ૭:૧૦-૧૭
૧૦
¶ પછી બેથેલના યાજક અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબામને કહાવી મોકલ્યું કે,’ આમોસે ઇઝરાયલી લોકોમાં તારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે. આ સર્વ વચનો કદાચ દેશના લોક સહન કરી શકશે નહિ.”
૧૧
કેમ કે આમોસ કહે છે કે; “યરોબામ તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે.’”
૧૨
¶ અમાસ્યાએ આમોસને કહ્યું કે, “હે દ્રષ્ટા, જા, યહૂદિયાના દેશમાં નાસી જા અને ત્યાં રોટલી ખાજે તથા ત્યાં પ્રબોધ કરજે.
૧૩
પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ, કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે અને એ રાજાનું ભક્તિસ્થાન છે.”
૧૪
¶ પછી આમોસે અમાસ્યાને કહ્યું, “હું પ્રબોધક નથી કે પ્રબોધકનો દીકરો પણ નથી, હું તો માત્ર ભરવાડ અને ગુલ્લર વૃક્ષની સંભાળ રાખનાર છું.
૧૫
હું ઘેટાનાં ટોળાં સાચવતો હતો ત્યારે યહોવાહે મને બોલાવ્યો અને વળી મને કહ્યું, ‘જા, મારા ઇઝરાયલ લોકોને પ્રબોધ કર.’”
૧૬
¶ એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.’
૧૭
માટે યહોવાહ આમ કહે છે કે; તારી પત્ની નગરની ગણિકા બનશે; અને તારા દીકરાઓ તથા તારી દીકરીઓ તલવારથી માર્યા જશે; તારી ભૂમિ દોરીથી માપીને બીજાઓને વહેંચાશે; તું પોતે અપવિત્ર ભૂમિમાં મૃત્યુ પામશે, અને નિશ્ચે ઇઝરાયલ લોકોને પોતાના દેશમાંથી ગુલામ બનાવીને લઈ જવામાં આવશે.’”
Settings