પ્રેરિતોનાં ક્રત્યો ૨૨:૬-૧૬
૬
¶ હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
૭
ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
૮
ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’”
૯
મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.
૧૦
ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
૧૧
તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
૧૨
અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.
૧૩
તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
૧૪
પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
૧૫
કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
૧૬
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
Settings