Skip to content
2 રાજઓ ૪:૨૧-૩૭

2 રાજઓ ૪:૨૧-૩૭

૨૧
પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.
૨૨
તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.”
૨૩
તેના પતિએ પૂછ્યું, “તું આજે તેની પાસે કેમ જાય છે? આજે નથી અમાસ કે નથી વિશ્રામવાર.” સ્ત્રીએ કહ્યું “બધું સારું થશે.”
૨૪
પછી તેણે ગધેડા પર જીન બાંધ્યું અને ચાકરને કહ્યું, “ઉતાવળથી હાંકીને ચલાવ; હું તને કહું તે સિવાય સવારી ધીમી પાડતો નહિ.”
૨૫
આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે.
૨૬
કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.”
૨૭
તે સ્ત્રીએ પર્વત પર ઈશ્વરભક્ત એલિશા પાસે આવીને તેના પગ પકડ્યા, ત્યારે ગેહઝી તેને દૂર કરવા આગળ આવ્યો પણ ઈશ્વરભક્તે તેને કહ્યું, “તેને એકલી રહેવા દે, કેમ કે તે દુઃખી છે, યહોવાહે તે વાત મારાથી છુપાવીને મને કહ્યું નથી.”
૨૮
પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?”
૨૯
ત્યારે એલિશાએ ગેહઝીને કહ્યું, “ગેહઝી, કમર બાંધીને તથા મારી લાકડી તારા હાથમાં લઈને રસ્તો પકડ. તેના ઘરે જા. જો રસ્તામાં તને કોઈ મળે તો તેને સલામ કરતો નહિ અને જો કોઈ તને સલામ કરે તો, તેને સામે સલામ કરતો નહિ. મારી લાકડી તે બાળકના મુખ પર મૂકજે.”
૩૦
પણ બાળકની માતાએ કહ્યું, “યહોવાહના સમ, તમારા સમ, હું તમને છોડવાની નથી.” આથી એલિશા ઊઠયો અને તેની સાથે ગયો.
૩૧
ગેહઝી તેઓના કરતાં વહેલો પહોંચી ગયો હતો. તેણે બાળકના મુખ પર લાકડી મૂકી, પણ બાળક કશું બોલ્યો નહિ કે સાંભળ્યું નહિ. તેથી ગેહઝી તેને મળવા આવ્યો અને કહ્યું, “બાળક હજુ જાગ્યો નથી.”
૩૨
જયારે એલિશા ઘરમાં આવ્યો, ત્યારે બાળક મૃત અવસ્થામાં તેના પલંગ પર પડેલો હતો.
૩૩
તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.
૩૪
પછી તે પલંગ પર જઈને બાળક પર સૂઈ ગયો, તેણે તેનું મુખ બાળકના મુખ પર, તેની આંખ બાળકની આંખ પર અને તેના હાથ બાળકના હાથ પર રાખ્યા. અને તે બાળક પર લાંબો થઈને સૂઈ ગયો એટલે બાળકના શરીરમાં ગરમાવો આવ્યો.
૩૫
પછી એલિશાએ ઊભા થઈને ઘરમાં ચારે બાજુ આંટા માર્યા પછી તે ફરીથી બાળક પર લાંબો થઈને સૂઈ ગયો. એટલે બાળકે સાત વખત છીંક ખાધી અને પોતાની આંખો ઉઘાડી.
૩૬
પછી એલિશાએ ગેહઝીને બોલાવીને કહ્યું, “શુનામ્મીને બોલાવ એટલે તેણે તેને બોલાવી, જયારે તે ઘરમાં આવી ત્યારે એલિશાએ તેને કહ્યું, “તારા દીકરાને ઊંચકી લે.”
૩૭
પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options