2 કાળવ્રત્તાંત ૭:૧૩-૨૨
૧૩
¶ કદાચ હું આકાશને બંધ કરી દઉં કે જેથી વરસાદ ન વર્ષે, અથવા જો હું તીડોને પાક ખાઈ જવાની આજ્ઞા કરું, અથવા જો હું મારા લોકોમાં રોગચાળો મોકલું.
૧૪
પછી જો મારા લોકો, મારા નામથી ઓળખાતા મારા લોકો, પોતાને નમ્ર કરશે અને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે, તેમના દુષ્ટ માર્ગોથી પાછા ફરશે તો હું આકાશમાંથી તેઓનું સાંભળીને તેઓના પાપોને માફ કરીશ અને તેઓના દેશને સાજો કરીશ.
૧૫
હવે આ સ્થળે કરેલી પ્રાર્થના સંબંધી મારી આંખો ખુલ્લી તથા મારા કાન સચેત રહેશે.
૧૬
¶ કેમ કે મારા સદાકાળના નામ માટે મેં આ સભાસ્થાનને પસંદ કરીને પવિત્ર કર્યુ છે; મારી આંખો અને મારું અંત:કરણ સદાને માટે અહીં જ રહેશે.
૧૭
જો તું મારી સમક્ષ તારા પિતા દાઉદની જેમ ચાલશે, મેં તને જે આજ્ઞા આપી છે તેને તું આધીન રહેશે અને મારા વિધિઓ અને નિયમોનું પાલન કરશે,
૧૮
તો જે કરાર મેં તારા પિતા દાઉદ સાથે કર્યો હતો ત્યારે મેં કહેલું, ‘ઇઝરાયલમાં શાસક થવા માટે તારો વંશ કદી નિષ્ફળ જશે નહિ.’ તે પ્રમાણે હું તારું રાજ્ય કાયમને માટે સ્થાપિત કરીશ.
૧૯
¶ પણ જો તું અને લોકો મારાથી ફરી જશો, મારા વિધિઓ અને મારી આજ્ઞાઓ જેને મેં તમારી આગળ મૂકી છે તેનો ત્યાગ કરી બીજા દેવોની પૂજા અને તેઓને દંડવત કરશો,
૨૦
તો મેં તમને જે દેશ આપ્યો છે તેમાંથી તમારો નાશ કરીશ અને મારા નામ માટે પવિત્ર કરેલા આ સભાસ્થાનનો હું ત્યાગ કરીશ. મારી સંમુખથી હું તેને દૂર કરીશ અને હું તેને સર્વ લોકોમાં કહેવતરૂપ તથા હાસ્યાસ્પદ કરીશ.
૨૧
¶ અને જોકે અત્યારે આ સભાસ્થાનનું ગૌરવ ઘણું છે તોપણ તે સમયે પસાર થનારાઓ આશ્ચર્ય પામીને પૂછશે, ‘ઈશ્વરે આ દેશ અને આ સભાસ્થાનની આવી દુર્દશા શા માટે કરી હશે?’
૨૨
તે લોકો જવાબ આપશે, ‘કેમ કે તેઓએ પોતાને મિસરમાંથી બહાર લાવનાર તેમના પિતૃઓના ઈશ્વર પ્રભુનો ત્યાગ કર્યો અને બીજા દેવોનો સ્વીકાર કર્યો. તેઓને દંડવત કરીને તેઓની પૂજા કરી. તેથી આ બધી આફતો ઈશ્વર તેઓના પર લાવ્યા છે.”
Settings