Skip to content
1 રાજઓ ૧૮:૨૧-૪૦

1 રાજઓ ૧૮:૨૧-૪૦

૨૧
એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવાહ ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.
૨૨
પછી એલિયાએ લોકોને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાહનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બઆલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.
૨૩
તો અમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડાં કરે અને તેને લાકડાં પર મૂકે અને નીચે આગ ન મૂકે. પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ અને નીચે આગ નહિ મૂકું.
૨૪
તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાહને નામે વિનંતી કરીશ. અને જે ઈશ્વર અગ્નિ દ્વારા જવાબ આપે તેને જ ઈશ્વર માનવા.” તેથી સર્વ લોકોએ જવાબ આપ્યો, “એ વાત સારી છે.”
૨૫
પછી એલિયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “તમે તમારે સારુ એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો, તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહિ.”
૨૬
જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બઆલના નામે વિનંતી કર્યા કરી કે “ઓ બાલ, અમને જવાબ આપ.” પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકારે નૃત્ય પણ કર્યુ.
૨૭
આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે.”
૨૮
તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તલવાર અને ભાલા વડે પોતાનાં શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહી વહેવા લાગ્યું.
૨૯
બપોર વીતી ગઈ અને છેક સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાં કંઈ અવાજ હતો નહિ કે તેમને સાંભળનાર તથા તેમની પર ધ્યાન આપનાર કોઈ હતું નહિ.
૩૦
પછી એલિયાએ બધા લોકોને કહ્યું, “અહીં મારી નજીક આવો.” લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી.
૩૧
યાકૂબ કે જેની પાસે યહોવાહનું એવું વચન આવ્યું હતું કે, “તારું નામ ઇઝરાયલ થશે.” તેના પુત્રોના કુળસમૂહોની સંખ્યા પ્રમાણે તેણે બાર પથ્થર લીધા.
૩૨
તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી.
૩૩
પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.”
૩૪
વળી તેણે કહ્યું, “આમ બીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, “આમ ત્રીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું.
૩૫
તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો.
૩૬
સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવાહ, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો.
૩૭
હે યહોવાહ, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવાહ ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.”
૩૮
પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં.
૩૯
જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવાહ એ જ ઈશ્વર છે! યહોવાહ એ જ ઈશ્વર છે!”
૪૦
એલિયાએ કહ્યું, “બઆલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાંની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options