Skip to content
1 કાળવ્રત્તાંત ૯:૧૭-૩૨

1 કાળવ્રત્તાંત ૯:૧૭-૩૨

૧૭
દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.
૧૮
એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.
૧૯
કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.
૨૦
ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.
૨૧
મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા “મુલાકાતમંડપના” દ્વારપાળ હતો.
૨૨
એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
૨૩
તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
૨૪
દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.
૨૫
તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.
૨૬
ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.
૨૭
તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
૨૮
તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.
૨૯
વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.
૩૦
યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.
૩૧
શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
૩૨
કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options