પુનર્નિયમ૨૩
Listen to this chapter
0:00
0:00
૧
¶ જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.
૨
વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.
૩
¶ આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ.
૪
કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.
૫
¶ પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા.
૬
તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહિ.
૭
¶ પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા.
૮
તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.
૯
¶ જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.
૧૦
જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું.
૧૧
પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.
૧૨
¶ વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું;
૧૩
અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી.
૧૪
આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.
૧૫
¶ જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો.
૧૬
તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.
૧૭
¶ ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ ગણિકા ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય.
૧૮
સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.
૧૯
¶ તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ.
૨૦
પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.
૨૧
¶ જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય.
૨૨
પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો.
૨૩
પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો, તથા અમલમાં મૂકો; યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખથી આપ્યું હોય તો તે પ્રમાણે કરો.
૨૪
¶ જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ.
૨૫
તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.
Use ← → arrow keys to navigate
Settings
Reading Style
Typeface
Font Size px
Options
Study Note