યશાયા ૫૯:૯-૧૫
૯
તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ.
૧૦
કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ.
૧૧
અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે.
૧૨
કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ.
૧૩
અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે.
૧૪
ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે; કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી.
૧૫
વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે. યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું.
Settings