હઝકિયેલ ૩૨:૨૪-૩૨
૨૪
તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
૨૫
તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
૨૬
મેશેખ, તુબાલ તથા તેનો સમુદાય પણ ત્યાં છે! તેની આસપાસ તેની કબરો છે. તેઓમાંના બધા બેસુન્નત તથા કતલ થયેલા છે, કેમ કે તેઓ દેશમાં હિંસા લાવ્યા હતા!
૨૭
બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા.
૨૮
હે મિસર, તારો પણ બેસુન્નતીઓની સાથે નાશ થશે. તલવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.
૨૯
¶ અદોમ પોતાના રાજાઓ તથા સેનાપતિઓ સહિત ત્યાં છે. તેઓ પરાક્રમી હતા. પણ તેઓ કતલ થયેલાઓની સાથે પડ્યા છે, બેસુન્નતીઓ સાથે તથા કબરમાં ઊતરનારાઓ સાથે પડી રહેશે.
૩૦
¶ ત્યાં ઉત્તરના સર્વ રાજકુમારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
૩૧
¶ ફારુન તેઓને જોઈને તલવારથી માર્યા ગયેલા પોતાના સમુદાય માટે દિલાસો પામશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૩૨
મેં પૃથ્વી પરનાં માણસોમાં મારો ત્રાસ બેસાડ્યો છે, પણ જેઓ તલવારથી માર્યા ગયેલા છે તેવા બેસુન્નતીઓની મધ્યે સૂઈ જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે!
Settings