હઝકિયેલ ૨૦:૩૩-૪૪
૩૩
¶ પ્રભુ યહોવાહ કહે છે કે, હું મારા જીવના સમ ખાઈને કહું છું કે, હું મારો હાથ લંબાવીને અને મારા પરાક્રમી હાથ વડે, કોપ રેડીને તમારા પર શાસન ચલાવીશ.
૩૪
તમે જે પ્રજાઓમાં વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમારા પર મારો ક્રોધ રેડીને તથા મારા પરાક્રમી હાથ વડે બહાર લાવીને ભેગા કરીશ.
૩૫
હું તમને વિદેશી પ્રજાઓના અરણ્યમાં લાવીશ અને હું ત્યાં મોઢામોઢ તમારો વાદ કરીશ.
૩૬
¶ જેમ મેં મિસરના અરણ્યમાં તમારા પૂર્વજોનો વાદ કર્યો, તેમ હું તમારી સાથે વાદ કરીશ પ્રભુ યહોવાહ આમ કહે છે.
૩૭
હું તમને મારી લાકડી નીચેથી પસાર કરીશ અને હું તમને મારા કરારના બંધનમાં લાવીશ.
૩૮
હું મારી વિરુદ્ધ બંડ કરનારાને તથા મારી વિરુદ્ધ અપરાધ કરનારાઓને અલગ કરીશ અને હું તમારામાંથી તેઓને જુદા કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇઝરાયલ દેશમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
૩૯
¶ હવે, હે ઇઝરાયલના લોકો, પ્રભુ યહોવાહ આમ કહે છે: “જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો. જો તમે મારું સાંભળવાનો ઇનકાર કરો છો તો તમે મૂર્તિઓની પૂજા કરવાનું ચાલુ રાખો, પણ તમે તમારી મૂર્તિઓથી તથા ભેટોથી મારા પવિત્ર નામને અશુદ્ધ કરશો નહિ.
૪૦
¶ પ્રભુ યહોવાહ આમ કહે છે કે, “મારા પવિત્ર પર્વત પર, ઇઝરાયલના પવિત્ર પર્વત પર, સર્વ ઇઝરાયલી લોકો મારી સેવા કરશે. ત્યાં હું તેમનો સ્વીકાર કરીશ, તમારાં અર્પણો, તમારી ખંડણી તરીકેનાં પ્રથમફળો તમારી પવિત્ર વસ્તુઓ સહિત માગીશ.
૪૧
હું તમને બીજી પ્રજાઓમાંથી બહાર લાવીશ, તમે જે દેશોમાં વિખેરાઈ ગયા હતા ત્યાંથી હું તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ. સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઈશ.
૪૨
¶ હું તમને ઇઝરાયલના દેશમાં એટલે જે દેશ તમારા પિતૃઓને આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
૪૩
ત્યાં તમને પોતાના આચરણ તથા જે દુષ્ટ કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા છે તે યાદ આવશે, તમે જે દુષ્ટ કૃત્યો કર્યાં છે તેને લીધે તમે પોતાની નજરમાં પોતાને ધિક્કારશો.
૪૪
પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણ તથા તમારાં દુષ્ટ કૃત્યો પ્રમાણે, હું મારા નામની ખાતર તમારી સાથે આવું નહિ કરું!” ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Settings