નિર્ગમન ૧૦:૨૧-૨૯
૨૧
¶ પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ ઊંચા કર. મિસર દેશમાં ગાઢ અંધકાર વ્યાપી જશે. માણસોએ અંધારામાં અટવાવું પડશે.”
૨૨
એટલે મૂસાએ આકાશ તરફ હાથ ઊંચો કર્યો. ત્યારે પ્રગાઢ અંધકારને લીધે મિસર દેશમાં ઘોર અંધારું છવાઈ ગયું. મિસરમાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહ્યો.
૨૩
કોઈ પણ વ્યક્તિ બીજા કોઈને જોઈ શકતી ન હતી. અને ત્રણ દિવસ સુધી કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહિ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યાં ઇઝરાયલીઓના વસવાટ હતો તે સર્વ ઘરોમાં તો પ્રકાશ ઝગમગી રહ્યો હતો.
૨૪
¶ ફારુને ફરીથી મૂસાને બોલાવ્યો અને કહ્યું, “તમે લોકો જાઓ, યહોવાહનું ભજન કરો. તમે તમારી સાથે તમારાં બાળકોને પણ લઈ જઈ શકો છો. ફક્ત તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોને અહીં રહેવા દેજો.”
૨૫
પણ મૂસાએ કહ્યું, “અમે અમારાં ઘેટાંબકરાં સહિત જાનવરોને અમારી સાથે લઈ જઈશું; એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તારે અમને દહનીયાર્પણો માટેનાં અર્પણો પણ આપવાં પડશે. અને અમે લોકો એ અર્પણો ઈશ્વર યહોવાહને ચઢાવીશું.
૨૬
અમે લોકો અમારાં જાનવરો અમારી સાથે અમારા ઈશ્વર યહોવાહનું ભજન કરવા માટે લઈ જઈશું. ખરીવાળું એક પણ પશુ અહીં રહેશે નહિ. અમારાં પશુઓમાંથી અમે અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞ ચઢાવવાના છીએ અને જ્યાં સુધી અમે નિયત જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમારે યહોવાહને શું અર્પણ કરવાનું છે?” તેથી બધાં જ જાનવરોને અમે અમારી સાથે લઈ જઈશું.”
૨૭
¶ યહોવાહે વળી પાછાં ફારુનને હઠાગ્રહી બનાવ્યો, તેથી ફારુને તેઓને જવા દેવા માટે ના પાડી દીધી.
૨૮
અને ફારુને મૂસાને કહ્યું, “મારી પાસેથી જતો રહે, મારું મુખ હવે પછી ફરીથી તું જોવા આવીશ નહિ. એમ છતાં જો તું મને મળવા આવીશ તો તે દિવસે તું માર્યો જશે.”
૨૯
પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી કદી તને રૂબરૂ મળવા આવવાનો નથી અને તારું મુખ જોવાનો નથી.”
Settings