પુનર્નિયમ ૧૩:૬-૧૮
૬
¶ જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે “ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ.
૭
તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ.”
૮
¶ તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ.
૯
પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.
૧૦
¶ તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.
૧૧
સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.
૧૨
¶ જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે,
૧૩
કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ.”
૧૪
તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે.
૧૫
¶ તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો.
૧૬
તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.
૧૭
¶ લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે.
૧૮
યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.
Settings