Skip to content
પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૨૭-૩૯

પ્રેરિતોનાં ક્રત્યો ૧૩:૨૭-૩૯

૨૭
કેમ કે યરુશાલેમના રહેવાસીઓએ તથા તેઓના અધિકારીઓએ તેમને વિષે તથા પ્રબોધકોની જે વાતો દરેક વિશ્રામવારે વાંચવામાં આવે છે તે વિષે પણ અજ્ઞાન હોવાથી તેમને અપરાધી ઠરાવીને તે ભવિષ્યની વાતો પૂર્ણ કરી.
૨૮
મૃત્યુને યોગ્ય શિક્ષા કરાય એવું કંઈ કારણ તેઓને મળ્યું નહિ, તેમ છતાં પણ તેઓએ પિલાતને એવી વિનંતી કરી કે તેમને મારી નંખાવો.
૨૯
તેમને વિષે જે લખ્યું હતું તે સઘળું તેઓએ પૂર્ણ કર્યું ત્યારે વધસ્તંભ પરથી તેમને ઉતારીને તેઓએ તેમને કબરમાં મૂક્યા.
૩૦
પણ ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા.
૩૧
અને તેમની સાથે ગાલીલથી યરુશાલેમમાં આવેલા માણસોને ઘણાં દિવસ સુધી તે દર્શન આપતા રહ્યા, અને તેઓ હમણાં લોકોની આગળ તેમના સાક્ષી છે.
૩૨
અને જે આશાવચનો આપણા પૂર્વજોને આપવામાં આવ્યા હતા તેનો શુભસંદેશ અમે તમારી પાસે લાવ્યા છીએ કે,
૩૩
ઈસુને મૃત્યુમાંથી સજીવન કરીને ઈશ્વરે આપણાં છોકરાં પ્રત્યે તે વચન પૂર્ણ કર્યું છે, અને તે પ્રમાણે બીજા ગીતમાં પણ લખેલું છે કે, તું મારો દીકરો છે, આજ મેં તને જન્મ આપ્યો છે.
૩૪
તેમણે તેમને મરણમાંથી ઉઠાડ્યાં, અને તેમનો દેહ સડો પામશે નહિ, તે વિષે તેમણે એમ કહ્યું છે કે, દાઉદ પરના પવિત્ર તથા નિશ્ચિત આશીર્વાદો હું તમને આપીશ.
૩૫
એ માટે તેઓ બીજા વચનોમાં પણ કહે છે કે, તમે પોતાના પવિત્રના દેહને સડવા દેશો નહીં.
૩૬
કેમ કે દાઉદ તો પોતાના જમાનામાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સેવા કરીને ઊંઘી ગયો, અને તેને પોતાના પૂર્વજોની બાજુમાં દફનાવવામાં આવ્યો, અને તેનો દેહ સડો પામ્યો.
૩૭
પણ જેમને ઈશ્વરે મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમના દેહને સડો લાગ્યો નહિ.
૩૮
એ માટે, ભાઈઓ, તમને માલૂમ થાય કે, એમના દ્વારા પાપોની માફી છે; તે તમને પ્રગટ કરવામાં આવે છે.
૩૯
અને જે બાબતો વિષે મૂસાના નિયમશાસ્ત્રથી તમે ન્યાય કરી શક્યા નહિ, તે સર્વ વિષે દરેક વિશ્વાસ કરનાર તેમના દ્વારા ન્યાયી ઠરે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options