Skip to content
2 રાજઓ ૨૦:૧-૧૧

2 રાજઓ ૨૦:૧-૧૧

તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવાહ કહે છે, ‘તારા કુટુંબનો બંદોબસ્ત કર; કેમ કે, તું મરી જશે, જીવશે નહિ.’”
ત્યારે હિઝકિયાએ દીવાલ તરફ પોતાનું મોં ફેરવીને યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું,
“હે યહોવાહ, હું તમને વિનંતી કરું છું કે, હું કેવી રીતે તમારી આગળ વિશ્વાસુપણે તથા મારા પૂરા હૃદયથી ચાલ્યો છું, તમારી દ્રષ્ટિમાં જે સારું હતું તે મેં કર્યું છે, તેને યાદ કરો.” પછી હિઝકિયા બહુ રડ્યો.
યશાયા ત્યાંથી નીકળીને નગરની અધવચ પહોંચ્યો તે પહેલાં એમ બન્યું કે, યહોવાહનું વચન તેની પાસે એવું આવ્યું કે,
“તું પાછો જઈને મારા લોકોના આગેવાન હિઝકિયાને કહે કે, ‘તારા પિતૃ દાઉદના ઈશ્વર યહોવાહ એવું કહે છે: “મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને ત્રીજા દિવસે સાજો કરીશ અને તું યહોવાહના ઘરમાં જશે.
હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ, તને તથા આ નગરને હું આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ. મારા પોતાના માટે અને મારા સેવક દાઉદના માટે હું આ નગરનું રક્ષણ કરીશ.”
યશાયાએ કહ્યું, “અંજીરનું ચકતું લો;” તેઓએ તે પ્રમાણે કર્યું અને તેને તેના ગૂમડા પર લગાવ્યું અને તે સાજો થઈ ગયો.
પછી હિઝકિયાએ યશાયાને પૂછ્યું, “યહોવાહ મને સાજો કરશે અને હું ત્રીજા દિવસે યહોવાહના ઘરમાં જઈશ, તેનું ચિહ્ન શું?”
યશાયાએ કહ્યું, “યહોવાહે જે વચન કહ્યું છે તે પૂરું કરશે, તેનું ચિહ્ન આ છે. છાંયડો દસ અંશ આગળ જાય કે, દસ અંશ પાછળ જાય?”
૧૦
હિઝકિયાએ જવાબ આપ્યો, “છાંયડો દસ અંશ આગળ વધે એ તો નાની વાત છે; એમ નહિ, પણ દસ અંશ પાછો હઠે.”
૧૧
યશાયા પ્રબોધકે યહોવાહને મોટેથી પોકાર કર્યો, તેથી આહાઝના સમયદર્શક યંત્રમાં છાંયડો જેટલો નમ્યો હતો, ત્યાંથી તેમણે દસ અંશ પાછો હઠાવ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options